સુંદર ભોમ સોરઠ તણી, નિર્મળ વહેતા નીર... જયાં જાહલ જેવી બેનળી ને નવઘણ જેવો વીર
વાત છે જુનાગઢ ના ધણી રા'નવઘણ અને એની જીભ ની માનેલી બેન એવી દેવાયત આહિર ની દીકરી જાહલ ની
જુનાગઢ નો રાજ પલટો થયો, રા' નુ રાજ ગયું અને સોલંકી નું રાજ આવ્યું, જૂનાગઢના રાજવી રા' ડિયાસે પોતાનું માથુ ચારણને આપી દીધું,રાણી સોમલ દે એ મરતા પહેલા બાળ રા' નવઘણને આહીર સેનાપતી દેવાયત બોદરને સોંપ્યો.
દેવાયતને નવઘણની જ ઉંમરનાં બે સંતાન હતા – દીકરો ઉગો અને દીકરી જાહલ. દેવાયત બોદરે રા' નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને થયું એમજ, સોલંકી રાજા ને ખબર પડી કે જુનાગઢ નો ધણી નવઘણ દેવાયત આહીર ને ત્યાં ઉછરી રહ્યો છે તો તરત જ સૈનિકોને ને આદેશ આપ્યો, દેવાયત એ નવઘણ ની બદલે પોતાના સગા દીકરા ઉગા નુ બલીદાન આપ્યુ અને રા' નો વંશ રાખી દીધો. સમય જતા રા'નવઘણ જુવાન થાય છે અને દેવાયત સાથે જુનાગઢ પર ચડાઈ કરી જુનાગઢ જીતી લે છે અને જુનાગઢ નો રાજા થાય છે અને રાજ સંભાળે છે, થોડા દીવસો પછી બેન જાહલ ના લગ્ન માં આવે છે અને કહે છે
“બેન, બોલ, ગામ, પરગણું, કે’તો જૂનાગઢની ગાદી, અને કે’ તો માથું –જે માગે તે હું તારા કાપડામાં આપું !તો પણ તમારા આહીર નો ઉપકાર ચૂકવાય એમ નથી".
પણ દેવાયતની દીકરી જાહલ ગામ-ગરાસની ભૂખી ન હતી. એણે એટલું જ કહ્યું:”જરૂર પડશે ત્યારે કાપડું માગીશ મારા ભાઈ.”
થોડા દીવસો પછી દેવાયત અને એમના પત્ની બન્ને નુ અવસાન થાય છે, જાહલ માં/બાપ/ભાઈ વિનાની એકલી થઈ જાય �છે, એક દીવસ સીંધ નો બાદશાહ હમીર સુમરો જાહલ નુ રૂપ જોઈ એને સીંધ માં ઉપાડી જાય છે, જાહલ
પોતાના ધણી સાંસતિયાને કાગળ લખી આપી જીભના માનેલ ભાઇ નવઘણ પાસે કાપડાની છેલ્લી માગણી કરવા મોકલ્યો. છેવટે એમ લખ્યું કે જેટલા મહિનાની અવધિ કરી છે તે પછી એક જ દિવસ પણ જો મોડો આવીશ તો તો ઝૂંપડીમાં મારી લાશ પડી હશે, માટે કાપડું લાવીશ નહિ, પણ સ્મશાનની સેજની ચૂંદડી લાવજે
!તેદી’ ગામ ગરાસ મેં નો’તો લીધો,
તારો ભીડ પડ્યાનો મેં કોલ લીધો.
મારા માંડવા હેઠળ બોલ દીધો.
હું દેવાયત તણી, વીરા જાહલને, માથે દુ:ખ તણા દરિયા ફરિયા,
સુનજે, નવ સોરઠના નરપતિ! મારી જીભના માનેલ મામેરિયા!
કાગળ વાંચી જૂનાણાનો ધણી રા’નવઘણ રોઇ પડ્યો. બચપણ યાદ આવ્યું એને. જેના ભાગનું દૂધ પીને ઉછરેલો એ બહેનનું કરજ પોકારી ઊઠ્યું. બાપ જેવો આહિર દેવાયત બોદડ આંખ સામે દેખાયો. અને રા' એ પોતાની સેના લઇ ક્ષત્રીયવટ સાથે કાપડાનુ વચન પૂરું કરવા, બેન જાહલને બચાવવા સિંધ તરફ પ્રયાણ કર્યું, પણ અવધી પુરી થાય એ પહેલા સિંધ પહોચવુ સહેલું ન હતું, રસ્તામાં ઘુઘવતો મહાસાગર આડો હતો,પણ જે ધર્મ નાં માર્ગે ચાલ્યાં હોય, બહેનની રક્ષાકાજે ચાલ્યાં હોય એની મદદત જગદમ્બા કરે, રસ્તામાં ૧૦ વર્ષના બાળ ચારણઆઈ વરૂડી દર્શન આપે છે.રા’નવઘણ જાણી ગયા હતાં કે આ તો સાક્ષાત માતાજી છે. તે કહે છે કે, માતાજી, મારે બહેનની વારે જવું છે. આડો દરિયો છે. મને આપ સહાય કરો. ત્યારે માતાજીએ કહ્યું, નવઘણ, તારા ભાલા ઉપર માં ખોડીયાર કાલી દેવચકલી નું રૂપ લઇને બેસસે, પછી તારો ઘોડો દરિયામાં નાખજે. સમુદ્ર મારગ દેશે અને બન્યું પણ એમ જ. કહેવાય છે કે મા વરૂડીએ માત્ર એક કુલડીમાં નવઘણના આખા કટક-સૈન્યને અહીં જમાડયું હતું. ત્યાર બાદ હમીર સુમરા ને મારી રા' સિંધ પર ફતેહ કરે છે, અને વ્હાલસોઇ બહેન જાહલને છોડાવી જૂનાગઢ લઇ આવે છે.

No comments:
Post a Comment